ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પાણી એક મહત્વનું પરિબળ છે. પાણી વિના સફળતાપૂર્વક પાક લેવો શક્ય નથી. પિયતની સગવડતા હોય તો પણ તેનો કરકસરભર્યો ઉપયોગ કરવામાં ન આવે તો લાંબે ગાળે જમીનને નુકશાન કરે છે. પરિણામે પાક ઉત્પાદન વધવાને બદલે ઘટે છે. કારણકે વધુ પડતા પાણીથી પણ જમીનના બાંધા ઉપર વિપરીત અસર થાય છે. જેથી જુદા જુદા પાકોને ક્યારે કેટલુ અને કેવી રીતે પાણી આપવું તેની જાણકારી હોવી જરૂરી છે. પાકને હંમેશા કટોકટીની અવસ્થાએ જરૂરીયાત મુજબ પિયત કરવું જરૂરી છે અને પાક તથા જમીનને થતું નુકશાન અટકાવવા માટે જુદા જુદા પાકોની વૃદ્ધિ તથા વાવેતરના અંતરને અનુલક્ષીને યોગ્ય ભલામણ કરેલ પિયત પદ્ધતિ અપનાવવી જોઈએ. જુદી જુદી પદ્ધતિઓ પૈકી પાણીનો વધુમાં વધુ મહત્તમ ઉપયોગ કરી વધુમાં વધુ વિસ્તાર પિયત પાક હેઠળ આવરી લઈ શકાય તે માટે પહોળા અંતરના શાકભાજીના તથા બાગાયતી પાક માટે ટપક પિયત પદ્ધતિ તથા ધાન્ય વર્ગના, સાંકડા અંતરે વવાતા શાકભાજી અને તેલીબિયાના પાકો, ધરૂવાડિયાના પાકો તથા બાગ-બગીચામાં પિયત માટે ફુવારા પિયત પદ્ધતિ એક આદર્શ પદ્ધતિ છે.
ફુવારા પિયત પદ્ધતિમાં પાણીનો વરસાદના પાણીની જેમ ઉપરથી છંટકાવ થતો હોઈ કુદરતી વાતાવરણ પણ ઊભું થાય છે. તે સામાન્ય રીતે નીચે જણાવેલ સંજોગોમાં સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય છે:
(૧) પાણીનો જથ્થો પુરતો ન હોય.
(૨) પાક હેઠળની જમીન સમતળ ન હોય.
(૩) ધરૂવાડિયાના કુમળા છોડનું ધોવાણ ન થાય તે માટે.
(૪) રેતાળ જમીનોમાં જ્યાં વધુ પડતો નિતાર હોય તેવી જમીનોમાં.
(૫) અગત્યના કિંમતી પાકો કે જેનું સાંકડા અંતરે વાવેતર થાય છે.
ફુવારા પિયત પદ્ધતિ મુખ્યત્વે બે પ્રકારની છે તે પૈકી પોતાની જરૂરિયાતને અનુલક્ષીને પસંદ કરવી જોઈએ.
(૧) પાઈપ ઉપર છિદ્રોવાળી (પરફોરેટેડ) :
આ પદ્ધતિ ધરૂવાડિયામાં પિયત કરવા માટે વપરાય છે. જેથી નાના ઊગતા કુમળા બીજ તથા છોડ પિયતના પાણીથી ધોવાઈ ન જાય તથા તેના ઉપર બાકીના વહેણથી માટી ફરી ન વળે. આમ, ધરૂવાડિયામાં પુરતો ઉગાવો તથા ધરૂના તંદુરસ્ત વિકાસ માટે અપનાવવામાં આવે છે. જેમા મુખ્ય પાઇપ ઉપર ૧ મિ.મી વ્યાસના છિદ્રો હોય છે અને પાઇપમાં ૧.૭૬ થી ૨.૮ કિલો/સે.મી દબાણથી પાણી પસાર કરવાથી છિદ્રો દ્વારા ફુવારા ઉડે છે. અને ધરુવાડિયામાં જરૂરિયાત મુજબ પિયત આપી શકાય છે. સામાન્ય રીતે કુમળા છોડોને ઓછું પરંતુ વધુ વખત પિયત કરવાની જરૂર પડે છે જેને માટે આ પદ્ધતિ ખૂબજ અનુકૂળ તથા આદર્શ છે
(૨) ચોફેર ફરતી પદ્ધતિ (રોટેટીંગ ટાઈપ) :
આ પદ્ધતિમાં યોગ્ય અંતરે ફુવારા ગોઠવેલા હોય છે જેમાં પાઈપોમાં ૪.૨ થે ૮.૪ કિલો/સે.મી. ના દબાણથી પાઈપોમાં પાણી પસાર કરવાથી ફુવારાથી પાણી ઊડે છે. અને ફુવારા ગોળ ગોળ ફરે છે. જેનાથી ૧૫ થી ૨૦ મીટરના વ્યાસના વિસ્તારના પાકમાં વરસાદની જેમ ફુવારાથી પિયત થાય છે. જેમાં દર મિનિટે ફુવારા દીઠ ૯ થી ૩૬ લીટર જેટલું પાણી છંટકાવથી આપી શકાય છે. આ પદ્ધતિ ધાન્ય પાકો જેવા કે ઘઉં, હા. બાજરી તથા શાકભાજીના પાકોમાં મરચી, કોબીજ, ફ્લાવર, બટાટા, ડુંગળી, તેલીબીયાના પાકો જેવા કે મગફળી તથા બગીચાની લોનોમાં પિયત કરવા માટે એક કરકસરયુક્ત આદર્શ પદ્ધતિ છે. જેમાં ગણતરીપૂર્વક યોગ્ય માત્રામાં પિયત કરી શકાય છે.
(૧) ઢાળિયાથી પિયત પદ્ધતિની જેમ પાણીનો બીલકુલ બગાડ થતો નથી.
(૨) ક્યારા, ઢાળિયા પદ્ધતિમાં પિયત વખતે જે જમીનનું પાણી સાથે ધોવાણ થાય છે તે ધોવાણ અટકાવી શકાય છે.
(૩) ૪’’ કે ૬’’ની ડીલીવરી પાઈપ હોય તો પણ પાણી સહેલાઈથી આપી શકાય છે.
(૪) જમીનો સમતળ ન હોય તો પણ આખા ખેતરમાં એકસરખું પિયત કરી શકાય છે, જેથી જમીનો સમતળ કરવાનો ખર્ચ બચાવી શકાય છે.
(૫) જરૂરિયાત મુજબનું પાણી પાકને આપી શકાય છે. જેથી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
(૬) વધુ પડતા પિયતથી જમીનો રેચક બની જાય છે તથા લાંબા ગાળે ખારવાળી બને છે જે અટકાવી શકાય છે.
(૭) પાકને હીમ કે ઉનાળામાં વધુ પડતા ઉષ્ણતામાનથી થતી માઠી અસરોથી બચાવી શકાય છે.
(૮) ક્યારા કે ઢાળિયાથી જેટલી જમીનમાં પિયત થાય છે તેના કરતા દોઢ થી બે ગણો વિસ્તાર ફુવારા પિયત હેઠળ આવરી લઈ શકાય છે.
(૯) ઢાળીયા, પાળીઓ બનાવવા જે જમીનોનો બગાડ થાય છે તે અટકાવી શકાય છે. જેથી ઢાળિયા, પાળીઓ સાફસુફ કરવાનો ખર્ચ બચે છે.
(૧૦) પિયતના પાણી અને ખાતરો, જંતુનાશક દવાઓ, ફુગનાશક દવાઓ, સહેલાઈથી આપી શકાય છે જેથી દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ થાય તથા તેના છંટકાવ પાછળ થતાં મજૂર ખર્ચ બચાવી શકાય.
(૧૧) રેતાળ જમીનોમાં જમીનનું ધોવાણ થયા વિના પિયત કરી શકાય છે.
(૧૨) એક ખેતરમાંથી બીજા ખેતરમાં સહેલાઈથી લઈ જઈ ગોઠવી પિયત કરી શકાય છે.
(૧) આ પદ્ધતિમાં શરૂઆતમાં સાધનો પાછળ વધુ ખર્ચ થાય છે જે નાના તથા મધ્યમ ખેડૂતોને પોષાતું નથી.
(૨) વધુ પવનોવાળા વિસ્તારમાં એકસરખું પિયત કરી શકાતું નથી જેથી પાણીનો બગાડ થાય છે.
(૩) આ પદ્ધતિથી પિયત કરવામાં નિષ્ણાત કારીગરની જરૂર પડે છે. સામાન્ય ખેતમજૂરને સફળતાપૂર્વક ચલાવવામાં મુશ્કેલી પડે છે.
(૪) ફલીનીકરણ વખતે પિયત કરવાથી ફૂલમાંની પરાગરજ ધોવાઈ જાય છે. જેથી બીજ ઓછા બેસવાની શક્યતા રહે છે.
(૫) ફુવારાનાં સેટમાં ફુવારાઓનું રીપેરીંગ વારંવાર કરવુ પડે છે.
(૬) વિજળી પાવરની જરૂર પડે છે.
કૃષિ વિડીયો, માહિતી, બજારભાવ, કૃષિને લગતી દરેક સમસ્યાના સમાધાન માટે અહી ક્લિક કરો.